
ખોડલ ધામ સંડેર ખાતે પ્રથમ 42 લેઉવા પાટીદાર સમૂહલગ્નમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આપશે વિશેષ હાજરી…
અનિલ રામાનુજ, એબીએનએસ, પાટણ: સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન તેમજ 42 લેઉવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા પાટણ, મહેસાણા અને બનાસકાંઠાનાં 53 ગામના મધ્યમ પરિવારનાં દીકરા-દીકરીઓનાં સમૂહલગ્ન આગામી તારીખ 17 નવેમ્બરને રવિવારના રોજ પાટણ નજીક આવેલા સંડેર ખાતે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે ભવ્ય આયોજન સાથે યોજાનારા છે. ત્યારે પ્રથમ સમુહલગ્નના આયોજનને સફળ બનાવવા છેલ્લા બે મહિનાથી 42 લેઉવા પાટીદાર યુવા મંડળ તેમજ 42 લેઉવા પાટીદાર મહિલા મંડળ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
દોઢ કરોડથી વધુના ખર્ચે મંડપ બંધાયો: સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર અદભુત તૈયારીઓ સાથે રહેનારા આ સમૂહલગ્નની ચાલતી તૈયારીઓને નિહાળવા અન્ય સમાજનાં સંગઠનો પણ સંડેર મુકામે આવી 42 લેઉવા પાટીદાર યુવા મંડળ અને 42 લેઉવા પાટીદાર મહિલા સંગઠનના આયોજનથી પ્રેરણા લઇ રહ્યાં છે. ત્યારે પાટણના સંડેર નજીક ખોડલધામ સંકુલમાં 17 નવેમ્બરે અંદાજે દોઢ કરોડથી વધુના ખર્ચે જર્મન ટેક્નોલોજીના 70 લાખ ભાડાના ખર્ચે ભવ્ય 1100×132 ફૂટ લાંબા ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી થીમ આધારિત ડોમ (મંડપ)માં ભવ્યાતિભવ્ય પ્રથમ સમૂહલગ્ન આયોજિત કરવામાં આવ્યાં છે. જેમાં 42 લેઉવા પાટીદાર સમાજના પાટણ, મહેસાણા અને બનાસકાંઠાનાં 61 નવદંપતીઓ સમાજની સાક્ષીએ અને સમાજના રીતરિવાજ મુજબ પ્રભુતામાં પગલાં માંડી લગ્નગ્રંથિથી જોડાશે.
9000 પરિવારને ઘરે ઘરે જઈ કંકોત્રી પહોંચાડી આ સમૂહલગ્નમાં જોડાનારાં તમામ 61 નવદંપતીઓને 2.5 લાખથી વધુની ભેટસોગાદ સમાજના દાતા પરિવાર અને શ્રેષ્ઠીઓ દ્વારા આપવામાં આવનાર છે. સંડેર મુકામે આયોજિત કરાયેલા પ્રથમસમૂહ લગ્નોત્સવમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠાનાં 53 ગામોમાં રહેતા 42 લેઉવા પાટીદાર સમાજના 9000 પરિવારને ઘરે ઘરે જઈ સમૂહલગ્ન સમિતિ દ્વારા લગ્નકંકોત્રી પહોંચાડી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં અંદાજે 20,000થી વધુ લોકો આવવાનો અંદાજ છે.
સમૂહલગ્નની શોભા વધારવા ગુજરાત રાજ્યના CM સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે:- 42 લેઉવા પાટીદાર યુવા મંડળ તેમજ 42 લેઉવા પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહલગ્ન પ્રસંગમાં જોડાનાર નવદંપતીઓને અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત આશીર્વચન આપવા માટે ખાસ ઉપસ્થિત રહેશે. તો તેઓની સાથે આ સમૂહલગ્નની શોભા વધારવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ, મંત્રી રાઘવજીભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા, ડો. કિરીટ પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સમૂહલગ્નના આયોજનને સફળ બનાવવા જુદી જુદી 28 કમિટી હાલમાં કામે લાગી છે.
સુરક્ષાને લઇ વાઇફાઇ અને CCTV સજ્જ કરાયા :- સમૂહલગ્નની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લગ્નમંડપ, રસોડું અને પાર્કિંગ સહિતનાં સ્થળને વાઇફાઇથી સજ્જ હાઇરિઝ્યુલેશન સાથેના 32 સીસીટીવી કેમેરાથી સજ્જ કરી 25 લોકોની ટીમ પાંચ સ્કીન પર પળે પળની નજર રાખશે સાથે 800 સ્વયંસેવકો વોકીટોકી સાથે પોતાની સેવા આપશે. તો મેડિકલ, ડિઝાસ્ટર, મિકેનિકલ અને ઈલેક્ટ્રિક સેવા માટે 100થી વધુની ટીમ સ્ટેન્ડબાય રહેશે. બાળકો માટે ગેમ ઝોન, સેલ્ફી પોઈન્ટ અને ઘોડિયા ઘર પણ કાર્યરત કરાશે. જ્યારે ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલા સમાજનાં દીકરા-દીકરીઓને પ્રોત્સાહન મળે તે માટે સ્ટોલ ફાળવી તેમના દ્વારા તૈયાર કરવામાં આવતી ગૃહઉદ્યોગની વસ્તુઓનું પ્રદર્શન પણ કરવામાં આવશે. નવી પેઢી સમક્ષ ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા પ્રવેશદ્વારમાં ગાડું, હળ, ઘંટી,વલોણું, પટારો, ફાનસ, હીંચકો, જૂના દરવાજા સહિતની ચીજવસ્તુઓ મૂકવામાં આવશે.
80 લક્ઝરી બસની વ્યવસ્થા, 9 પીપલ કાઉન્ટિંગ મશીન સમૂહલગ્નમાં જોડાનાર નવયુગલોના 15-15 લાખના વીમા ઉતારવા માટે રૂ.18.60 કરોડની પોસ્ટની ગ્રુપ ગાર્ડ પોલિસી પણ લેવામાં આવી છે. આ સાથે દરેક વરઘોડિયાને સમૂહ લગ્નોત્સવ સ્થળે લાવવા લઈ જવા માટે સમૂહલગ્ન સમિતિ દ્વારા 80 લક્ઝરી બસોની વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવાની સાથે સમૂહલગ્નમાં આવનાર લોકોનાં કાઉન્ટિંગ માટે કુલ 9 પિપલ કાઉન્ટિંગ મશીન સમૂહલગ્ન સ્થળ પર કાર્યરત કરાશે. આ ઉપરાંત આ સમૂહલગ્નમાં 42 સમાજની 590 દીકરીઓને સર્વાઈકલ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના લાભ મળે તે માટે પણ સમૂહલગ્ન સમિતિ દ્વારા પ્રયાસ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.