
શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં રચાયેલી વચગાળાની સરકારને આજે એક મહિનો પૂર્ણ થયો છે. જનવિદ્રોહ અને અશાંતિ બાદ વચગાળાની સરકારે એક મહિનામાં સમગ્ર દેશની મશીનરી બદલી નાખી છે. રાજધાની ઢાકામાં વચગાળાની સરકાર બન્યા બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.
આ દરમિયાન, યુનુસ સરકારના કટ્ટરપંથી સમર્થક જમાત-એ-ઇસ્લામ પાર્ટીએ રવીન્દ્રનાથ ટાગોરે લખેલું બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ‘અમાર સોનાર બાંગ્લા’ને બદલવા માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. જો કે વચગાળાની સરકારમાં ધાર્મિક બાબતોના મંત્રી ખાલિદ હુસૈને રાષ્ટ્રગીત બદલવાની ના પાડી દીધી છે.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે વચગાળાની સરકારે બંધારણમાં ફેરફાર કરવા માટે નિવૃત્ત સૈન્ય અધિકારીઓની એક કમિટીની રચના કરી છે. સૈન્ય સમર્થિત વચગાળાની સરકાર આગામી દિવસોમાં બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા પ્રતીકોને ભૂંસી પાડશે. વિદ્યાર્થીઓના આંદોલનમાં બંગબંધુ મુજીબુર રહેમાનની પ્રતિમા તોડી પાડવામાં આવી છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રગીત બદલાય તો નવાઈ નહીં.
મંત્રાલયોથી લઈને યુનિવર્સિટીઓ સુધી કટ્ટરવાદીઓનું વર્ચસ્વ છે
નવી સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના દ્વારા નિયુક્ત તમામ ટોચના અધિકારીઓને હટાવી દીધા છે. ચીફ જસ્ટિસ, બાંગ્લાદેશ બેંકના ગવર્નર, આઈજીપી આરએબી ડીજી, બીજીબી ડીજી, ડીએમપી કમિશનર, એટર્ની જનરલ, વિવિધ મંત્રાલયોના 30 સચિવોની બદલી કરવામાં આવી છે.
આ સિવાય ઘણા દેશોમાં હાજર બાંગ્લાદેશના રાજદૂતોને કાં તો પાછા બોલાવવામાં આવ્યા છે અથવા તો બરતરફ કરવામાં આવ્યા છે. 50થી વધુ યુનિવર્સિટીઓના વીસી, ટ્રેઝરર અને રજીસ્ટ્રાર, 147 શાળા અને કોલેજના આચાર્યો, યુજીસીના વડાઓની નવી નિમણૂંકો કરવામાં આવી છે.
બીએનપીના મહાસચિવ મિર્ઝા ફખરૂલ ઈસ્લામ આલમગીર પણ માને છે કે અત્યાર સુધી આ સરકાર સારું કામ કરી રહી છે. લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે અમે આ સરકારને સમર્થન આપીશું. પરંતુ અમે લોકશાહી માટેની અમારી લડાઈ સાથે સમાધાન નહીં કરીએ. અમે શક્ય તેટલી વહેલી તકે રાષ્ટ્રીય ચૂંટણી જોવા માંગીએ છીએ.
ગાર્મેન્ટ ઉદ્યોગને વેગ મળ્યો
ઢાકા સહિત અનેક શહેરોમાં ફેલાતા ગાર્મેન્ટ ઉદ્યોગના મોટાભાગના એકમો ફરી સક્રિય થયા છે. લગભગ 85% મહિલાઓ કાપડ ઉદ્યોગમાં કામ કરે છે. બાંગ્લાદેશની કુલ નિકાસમાં કાપડ ઉદ્યોગનો હિસ્સો 80% છે. વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન એક પણ કપડાની ફેક્ટરીમાં આગ લાગી નથી.
અમેરિકા તરફનો ઝુકાવ વધશે
નવી સરકારે વિદેશ નીતિ પર પોતાના પત્તા ખોલ્યા નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે તેઓ અમેરિકાની તરફેણમાં રહેશે. નવી સરકાર હવે પાકિસ્તાન તરફ ઝુકશે. ચીન સાથેના સંબંધો અકબંધ રહેશે. ભારત પ્રાયોરિટી લિસ્ટમાં હશે, પરંતુ હસીના વિવાદનો વિષય છે.